All Stories

મહાકુંભમાં ખોવાઈ જતા બાળકો માટે ભારતીય ‘જુગાડ’ બન્યો GPS ટ્રેકિંગનો વિકલ્પ!

ભારતીયો તમામ પ્રશ્નોના અનન્ય ઉપાય શોધીને કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં માહિર હોય છે. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં તેમનું કાર્ય પૂર્ણ કરવામાં તેમનો કોઈ વિકલ્પ નથી. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા મહાકુંભમાં લાખો ભક્તો એકઠા થતા હોવાથી, વિશાળ ભીડનું સંચાલન કરવાનું સૌથી મુશ્કેલ કાર્ય છે. તેવામાં અહીં બાળકોના ગુમ થવાની ઘટના સૌથી વધુ બનતી હોય છે. મહાકુંભમાં આવનારા યાત્રાળુઓએ બાળકો ગુમ ન થાય અને થાય તો તેમને શોધવાના અનોખા ઉપાયો શોધી લીધા છે.

મહાકુંભમાં ભેગા થયેલા યાત્રાળુઓને બાળકોને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકો ભારે ભીડમાં તેમના પરિવારોથી પલભરમાં અલગ થઈ જાય છે, તે પરિસ્થિતી પરિવાર અને વહીવટીતંત્ર બંને માટે ભારે મુશ્કેલીઓ સર્જે છે. આવા કિસ્સાઓમાં કેટલાક માતા-પિતાએ પોતાના બાળકોના માથા પર તેમના મોબાઈલ નંબર લખી દીધા છે. જેનાથી જે કોઈને ગુમ થયેલ બાળક મળે તો તાત્કાલિક તેના માતા-પિતાને સોંપી દે.

મહાકુંભની ભારે ભીડમાં ખોવાયેલા બાળકોની સમસ્યાના નિરાકરણ માટે કેટલાક લોકોએ દેશી જુગાડનો બીજો એક અનન્ય કોન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. બાળકોની પીઠ પર કાગળો ચોંટાડી ભીડ વચ્ચે ફરતા કરી રહ્યા છે. આ અનોખા ઉકેલથી પ્રભાવિત થતા અનેક લોકોનું તેમણે ધ્યાન ખેંચ્યું હતું. કાગળો પર તેમના ઘરના નીમ-સરનામા અને સંપર્ક માહિતી જેવી વિગતો લખવામાં આવી છે, જેથી જો તેઓ ખોવાઈ જાય તો લોકો તેમને સરળતાથી ઓળખી ગંતવ્ય સુધી પહોંચાડી શકે.

ભારતની જુગાડ પરંપરામાં અમૂલ્ય યોગદાન આપતી એક સરળ છતાં તાર્કિક હસ્તલિખિત નોંધ પ્રણાલીને માન્યતા મળી રહી છે. મહાકુંભમાં ભારે ભીડ વચ્ચે, ઓછા ખર્ચે, લો-ટેકનો અભિગમ ખોવાયેલી વ્યક્તિઓને શોધવા માટે આધુનિક GPS ટ્રેકિંગ સાધનોનો અસરકારક વિકલ્પ સાબિત થયો છે.

લોકો અનોખી પહેલની પ્રશંસા કરી કરતા તેને "અત્યંત વ્યવહારુ વ્યૂહરચના" ગણાવી રહ્યા છે. કેટલાક લોકો તો આવી અસરકારક પદ્ધતિનો ઉપયોગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે કરવાની ભલામણ પણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, આ ભારત છે, અહીં અત્યંત પ્રતિભાશાળી પ્રતિભાશાળી લોકો વસે છે!"

All Stories