All Stories

મહાકુંભનું પુણ્ય કમાવવા દરરોજ સર્જાઈ રહ્યા છે અવનવા રેકોર્ડ્સ!

વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાંનો એક મહાકુંભ 2025 પ્રયાગરાજમાં દરરોજ અવનવા રેકોર્ડ્સ બનાવી રહ્યો છે. 144 વર્ષ બાદ સર્જાયેલી દુર્લભ ખગોળીય ઘટનાના સુભગ સંયોગથી પુણ્યલાભ કમાવવા ત્રિવેણીમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી રહી છે. મહાકુંભની શરૂઆતના 6 દિવસમાં 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાના પડકારને પ્રસાશન સુપેરે પાર પાડી રહ્યું છે.

ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ, સંતો અને ગૃહસ્થો અમૃત સ્નાન કરી નવા-નવા વિક્રમો બનાવી રહ્યા છે. ૧૧ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી દરમિયાન 7 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. અધ્યાત્મિક મહત્વથી ભરપૂર આસ્થાના મહાકુંભમાં સ્નાન કરી તીર્થયાત્રીઓ પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.

સરકારના અંદાજ મુજબ આ વખતે 45 કરોડથી વધુ ધર્મપ્રેમીઓ મહાકુંભની યાત્રા કરશે. મહાકુંભની શરૂઆતમાં જ સાત કરોડ લોકોનું સ્નાન આગામી દિવસોમાં ભક્તોનો ધસારો વધવા તરફ ઈશારો કરે છે. પ્રયાગરાજમાં ભારે ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દેશ અને દુનિયામાંથી લાખો ભક્તો દરરોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે ત્રિવેણીમાં ડૂબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કરવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

ત્રિવેણી સંગમમાં ૧૦ લાખ કલ્પવાસીઓ સહિત દેશ અને વિદેશના અસંખ્ય ભક્તજનોએ ડૂબકી લગાવી હતી. સમગ્ર મહાકુંભ મેળાના વિસ્તારમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. મહાકુંભ નગરીમાં સમગ્ર દેશના વિવિધ પ્રાંતોની આબેહૂબ અને આકર્ષક સંસ્કૃતિઓની ઝલક માણી શકાય છે.

13 જાન્યુઆરીના રોજ મહાકુંભના પહેલા દિવસે ત્રિવેણી સંગમ ખાતે લગભગ 1.75 કરોડ ભક્તો ભેગા થયા હતા. મકરસંક્રાંતિના દિવસે તે સંખ્યા બમણી થઈને 3.5 કરોડ થઈ ગઈ. ઉત્તર પ્રદેશ સરકારે 26 ફેબ્રુઆરીના રોજ પૂરા થતા છ અઠવાડિયામાં 40-45 કરોડ યાત્રાળુઓ અને મુલાકાતીઓના આગમનની અપેક્ષા છે.

All Stories