All Stories

મહાકુંભમાં ઐતિહાસિક પહેલ, સેંકડો મહિલાઓએ નાગા સાધુ તરીકે દિક્ષા લીધી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ 2025 ના પાવન આયોજનમાં અનેક આધ્યાત્મિક કાર્યો અને ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યા છે. આ મહાયજ્ઞમાં જુના અખાડાએ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ કરી છે. આ વર્ષે પુરુષો અને સ્ત્રીઓ બંનેને નાગા સંત બનાવવાની પરંપરાને અનુસરતા જુના અખાડાએ લગભગ 100 મહિલાઓને નાગા સંત તરીકે દીક્ષા આપી છે.

નાગા સન્યાસી બનવાની પ્રક્રિયામાં વિશિષ્ટ ધાર્મિક વિધિ-વિધાન અને સંસ્કારોમાંથી પસાર થવું પડે છે. સૌપ્રથમ સ્ત્રીઓને 'મુંડન સંસ્કાર' આપવામાં આવે છે, જે તેમની સાંસારિક જીવનના ત્યાગનું પ્રતીક છે. ત્યારબાદ તેઓને પવિત્ર ગંગામાં સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન બાદ તેમને વૈદિક મંત્રોચ્ચર અને ધાર્મિક વિધિઓથી દીક્ષા આપવામાં આવે છે. જૂના અખાડાએ તમામ મહિલા સાધુઓને શાસ્ત્રોક્ત વિધીથી દિક્ષાગ્રહણ કરાવી હતી.

અખાડાના સંતો અને ગુરુઓએ આ મહિલાઓને સંન્યાસી જીવનની આચારસંહિતાનું પાલન કરવા અને સનાતન ધર્મમાં પોતાનું જીવન સંપૂર્ણપણે સમર્પિત કરવાની શપથ લેવડાવ્યા હતા. આ પ્રેરણાદાયક પહેલ ધાર્મિક પરંપરાઓને સમાવિષ્ટ કરતા સશક્તિકરણ તરફનું એક પગલું છે.

અખાડાના ધ્વજ હેઠળ નિયમો અનુસાર ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. મહિલાઓને ગુરુમંત્ર અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓને 1૦8 વાર શપથગ્રહણ કરવા કહેવામાં આવ્યું હતું. આ મહિલાઓએ પોતાનું ઘર, પરિવાર અને સાંસારિક જીવન સંપૂર્ણપણે છોડી દેવાના આ શપથ લીધા હતા. તેમણે એ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે તેઓ ક્યારેય લગ્ન કરશે નહીં અને સનાતન ધર્મના પ્રચાર-પ્રચાર અને સેવામાં જીવન સમર્પિત કરશે.

જુના અખાડાની આ પહેલથી મહિલા નાગા સંતોની સંખ્યામાં વધારો થઈને સનાતન ધર્મની પરંપરામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. આ કાર્યક્રમ આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી પ્રેરણાદાયક છે તેમજ ધાર્મિક પરંપરાઓમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે.

All Stories